ગત મંગળવારના રોજ સુરતના કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે રાત્રે 9.30ના અરસામાં સુરતથી ભાવનગર જવા ઉપડેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી, આ આગના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. આગમાં એક મહિલા બળીને ભડથું થઇ ગઈ હતી અને તેનો જીવ ચાલ્યો ગયો હતો, જયારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી મહિલા તેના પતિ સાથે ગોવા હનીમૂન ઉપર ગઈ હતી અને ત્યાંથી ફ્લાઇટ દ્વારા સુરત પરત ફર્યા અને કોઈ સંબંધીના ઘરે રોકાયા બાદ પોતાના વતન ભાવનગર જવા માટે બસમાં રવાના થયા હતા. શરૂઆતમાં આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટના કારણે એસીનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે આ આગ લાગવા પાછળનું સાચું કારણ સામે આવ્યું છે.
પોલીસને બસના સામાનમાંથી માથામાં નાખવાના સીરમની બોટલો મળી છે. જોકે, તે આગ માટે જવાબદાર નહીં હોવાનું પોલીસનું હાલ અનુમાન છે. પોલીસને બસમાંથી કાચ અને હીરા સાફ કરવા માટેના લિક્વિડની હાજરી મળી છે તેના લીધે આગ લાગી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મહિલા તાનિયા નવલાનીના પતિ વિશાલ નવલાની જે બસમાં તેમની સાથે જ હતા અને બસમાંથી કુદ્યા બાદ તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમને પણ હવે ભાન આવી ગયું છે અને તેના બાદ તેમને ઘણા બધા ખુલાસા કર્યા હતા.
વિશાલના જણાવ્યા અનુસાર સુરતથી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સ બસ પોણા દસ વાગ્યાની હતી. જે માટે અમે આઠ વાગ્યાના ત્યા જ બેઠા હતા. ત્યારે સવા નવ વાગ્યે તે લોકોની બસ આવી જેમા તે લોકો પાર્સલને એ બધો સામાન બસમાં ભરતા હતા. બસમાં બધી જગ્યાએ તે લોકોએ પાર્સલ ભર્યા હતા. ત્યારબાદ પોણા દસ વાગ્યે તે લોકોએ બસ ઉપાડી હતી. મારી 25 અને 26 નંબરની ઉપરના ભાગે સીટ હતી. જ્યા અમે બન્ને સુતા હતા.
વિશાલે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે બસની પાછળના ભાગમાંથી ધુમાડો દેખાઈ રહ્યો હતો જેના બાદ કંડકટરે બૂમો પાડી અને બસ ઉભી રખાવી અને ત્યારે જ મેં બારીમાંથી કૂદકો માર્યો. ત્યારબાદ હું આગળના ભાગે દરવાજા પાસે ગયો એ જોવા કે અહિથી જો નીકળી શકાય તેમ હોય તો મારી પત્નીને ત્યાથી આવવા કહુ પણ ત્યાથી પણ નીકળી શકાય તેમ ન હતું. આ ઉપરાંત વિશાલે એમ પણ જણાવ્યું કે બસ નોન એસી હતી, એસી નહોતી.
વિશાલે એમ પણ જણાવ્યું કે જેથી હું પરત બારી પાસે ગયો અને મારી પત્નીને કહ્યુ કે બીજે ક્યાયથી નીકળાઈ તેમ નથી. તેમ કહીને હુ મારી પત્નીને બચાવવા મે હાથ આપ્યો હું મારી પત્નીને બારીમાંથી હાથ પકડીને નીચે ઉતારવા જતો હતો ત્યારે જ આગ વધુ લાગી ગઈ અને એજ સમયે બસનું ટાયર મારા મોઢા ઉપર જ ફાટ્યું. ત્યારે મને આખા શરીરમાંથી લોહી નીકળતું હતું અને ત્યાંથી મને 108 દ્વારા લઈ જવામાં આવ્યો. વિશાલના જણાવ્યા પ્રમાણે બસના પાછળના ભાગમાં સૅનેટાઇઝર અને મેડિકલનો સમાન વધારે હતો જેના કારણે આગ વધારે પ્રસરી ગઈ.
આ મામલામાં હજુ કાપોદ્રા પોલીસ અને FSLની ટિમ તપાસ કરી રહી છે, પરંતુ હજુ આગ લાગવા વિશેનું સાચું કારણ તેઓ જાણી શક્યા નથી. એફએસએલની ટીમ દ્વારા બસનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, તેમને પણ હજુ કોઈ એવા ચિન્હો મળ્યા નથી જેના દ્વારા આગ લાગવાનું સાચું કારણ જાણી શકાય.