ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક સંકળામણ, માનસિક કે શારીરિ હેરાનગતિ કે પછી ઘરકંકાસ મુખ્ય કારણ હોય છે. ઘણીવાર એવું પણ બનતુ હોય છે કોઇ વાતથી કંટાળી અથવા તો દેવામાં ડૂબી જવાને કારણે પણ કેટલાક આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ અમદાવાદના ગોતામાંથી એક પોલિસકર્મીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે સામૂહિક આપઘાત કર્યો છે.
પરિવાર સાથે 12મા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી હતી. શહેરમાં દિવસેને દિવસે આપઘાતના કિસ્સા વધી રહ્યા છે અને એવામાં ગોતામાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને ત્રણ વર્ષની નાની બાળકી સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસકર્મીએ આપઘાત કયા કારણોસર કર્યો તે હાલ સામે આવ્યુ નથી. જો કે, આ ઘટનાની જાણ પોલિસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પીએમ ચાલી રહ્યું છે.
ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, તેમજ પત્ની રિદ્ધી અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગ્યા આસપાસ 12માં માળેથી ઝંપલાવ્યુ હતુ. કુલદિપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે. હાલ તો પોલિસ દ્વારા આપઘાત પાછળનાં કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, પોલિસકર્મી કુલદીપસિંહ દ્વારા આ પ્રકારનું પગલું કેમ ભરાયુ તે તપાસ પોલીસે શરૂ કરી છે.
હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે. જણાવી દઇએ કે, કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમના પત્ની સિહોરની બાજુમાં આવેલા વડીયાના રહેવાસી હતા. કેટલાક લોકોનુ કહેવુ છે કે, કુલદીપસિંહ સ્વભાવે શાંત અને સરળ હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના બહેન રહે છે, કુલદિપસિંહના જમાઈ સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
ઉલ્લેખનીય છે કે,બે દિવસ પહેલા અમદાવાદના બાવળામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બાવળામાં નંદન પાર્ક સોસાયટીમાં રહેતા ગોવરાંગભાઈએ પત્ની ભાવનાબેનની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો.