ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઘરને કે ઓફિસને ઠંડુ રાખવા માટે એરકંડિશનરનો ઉપયોગ કરે છે. એસીથી કૂલિંગ મશીનના મધ્યામથી હવા પસાર થાય છે. અને આપણા ઘરને કે ઓફિસને ઠંડી રાખે છે. અને આપણને આ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. ગરમીમાં તો આ આપણને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે, પરંતુ સતત એસીમાં બેસી રહેવાથી ઘણા નુકશાન થાય છે. જે વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.
તો ચાલો જાણીએ એસીના નુકશાન વિશે –
આજકાલ બાળકોથી લઈને મોટા સુધી બધા જ લોકોને એસીની આદત પડી ગઈ છે. એવામાં તેઓ 1 મિનિટ પણ એસી વિના રહી નથી શકતા. જેના કારણે વધુ સમય સુધી ઠંડી હવામાં રહેવાના કારણે તેમને સાંધાનો દુખાવાની સમસ્યા શરુ થઇ જાય છે. આ સમસ્યા ધીરે-ધીરે વધીને હાડકાની બીમારી બની જાય છે.
જો તમે કોઈ જૂની બીમારીથી ગ્રસ્ત છો, તો એસી તમારા માટે નુકશાનદાયક બની શકે છે. કારણ કે એસીમાં લો બ્લડપ્રેશર અને આર્થરાઇટિસનાં લક્ષણો વધી જાય છે. અને સાથે જ આ દુખાવાના કારણો વધારી દે છે.
એસીની સફાઈ લાંબા સમય પછી થવાના કારણે તેમાં ધૂળ, માટી જમા થઇ જાય છે અને ચારે બાજુ ફેલાય છે. જે એલર્જી વધારવાની સાથે સાથે શ્વાસની સમસ્યાઓનું કારણ પણ બને છે. સાથે જ એસી વાયરસથી ફેલાતા રોગને પણ ફેલાવે છે. એટલે એક સાથે ઘણા લોકોને ચેપ લાગે છે.
લાંબા સમય સુધી એસીમાં બેસવાથી બ્લડપ્રેશર ઓછું થઇ જાય છે. એવામાં જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા છે તેઓએ એસીથી દૂર જ રહેવું જોઈએ. આ સિવાય એસીના કારણે લાંબા શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. અને અસ્થમાની સમસ્યા થઇ શકે છે.
એસીમાં કામ કરનારા લોકોને નિયમિત રીતે માથાના દુખાવાની તકલીફ થાય છે, આવું એસીના ઓછા તાપમાનને કારણે થાય છે. આ સિવાય આસાનીથી શરદી, ખાંસી અને તાવની ચપેટમાં આવી જાય છે. આ સિવાય આખો દિવસ એસીમાં રહેવાને કારણે જયારે બહાર જાય છે ત્યારે તેમને થાક અને તાવ જેવી સમસ્યાઓ પણ આવી જાય છે.
એસીની હવામાંથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે. અને આને કારણે ત્વચા સૂકી પડી જાય છે. જો તમે વધુ સમય એસીમાં વ્યતીત કરો છો તો તમારે વધુ માત્રામાં પાણી પીવું જોઈએ અને પોતાની ત્વચાને પણ મોશ્ચરાઈઝ કરાવી જોઈએ.
આ સિવાય એસીની સૂકી હવા ત્વચાની સાથે સાથે આંખોને પણ અસર કરે છે, જેના કારણે આંખો સૂકી પડી જાય છે. એટલે આંખોમાં ખંજવાળ આવે છે, બળતરા થાય છે કે લેન્સ આંખોમાં ચોંટી જાય છે. એસીથી આંખોની સમસ્યાઓ જેમ કે કંજક્ટિવાઈટિસ અને બ્લેફેરાઇટિસ પણ વધી શકે છે.
શરીરની મેદસ્વિતાને વધારવાના કારણોમાંથી એક કારણ પણ એસી જ છે. કારણ કે એસીમાં રહેવાને કારણે શરીરનું તાપમાન ઓછું રહે છે અને પરસેવો નથી નીકળતો, જેથી શરીર સક્રિય નથી રહેતું. જેના કારણે વ્યક્તિ મેદસ્વીતાના શિકાર બને છે.
એસી કોઈ શાંત રહેવાવાળું મશીન નથી અને એ એસી પર નિર્ભર કરે છે કે એ ઓછા અવાજ સાથે હવાને ફેંકશે કે મોટા અવાજ સાથે. આ અવાજ પણ એક પ્રકારની ધ્વનિ પ્રદુષણ જ છે, જે આપણી ઉત્પાદકતાને ઓછી કરે છે અને રાતની ઊંઘને પણ નુકશાન કરી શકે છે.