ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલીક વાર સંબંધો પણ લજવાય છે. ત્યારે ભરૂચમાંથી ગુરુ-શિષ્યાનો પવિત્ર સંબંધ લજવાતો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્યએ જ દુષ્કર્મ આચર્યુ હતુ. આચાર્ય હેવાન બનીને તેનો દેહ ચુંથતો રહ્યો. જો કે, હાલ તો સમગ્ર પંથકમાં નરાધમ આચાર્ય રણજીત પરમાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી બાજુ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચની સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી આચાર્ય રણજીત પરમાર દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવતુ હતુ. ત્યારે માસૂમ વિદ્યાર્થિની આ શારીક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી અને પછી વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે 30 ઓગસ્ટના રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું
અને તે બાદ 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા અડપલા કરવામાં આવ્યા. જો કે, વિદ્યાર્થીની એકદમ ગભરાઈ જતા આચાર્યની કેબિનમાથી બહાર દોડી આવી અને પોતાની બહેનને ફોન કરતા તે પણ દોડી આવી હતી. તે બાદ બહેન પર થતાં અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી. આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપી પર બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપીની પુછપરછ પણ હાથ ધરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે, નરાધમ આચાર્ય CCTV કેમેરા બંધ કરી વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારતો હતો.